ભરૂચ શહેરમાં ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના સ્ટેશન સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે શહેરમાં રેલી, કેક કટિંગ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
બામસેફ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા પણ વિશાળ સંખ્યામાં લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. ઈન્સાફના રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડના નેતૃત્વ હેઠળ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ ઉપરાંત, સ્વયંસૈનિક દળ દ્વારા બાબાસાહેબને સલામી આપી શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં નાના બાળકો થી લઈને વડીલો સુધીના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને ઉજવણીનો માહોલ છવાયો હતો.
