ભરૂચ.
ભરૂચ શહેરના જલારામધામ સોસાયટી વિસ્તારમાં બોલના મામલે થયેલો નાનો ઝઘડો ઉગ્ર બની જતા એક મહિલાને બેટ વડે માર મારી ઇજાગ્રસ્ત કરવાના બનાવે ચકચાર મચાવી છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જલારામધામ સોસાયટીમાં રહેતી કમલાબેન અનિલભાઈ સાસિયા (ઉ.વ.57) ઘરકામ કરતી હોવા સાથે પતિ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ગત તા. 13 એપ્રિલ 2026ના રોજ સાંજના સમયે તેઓ ઘરે એકલા હતા, ત્યારે પાડોશમાં રહેતા વિપુલભાઈ પ્રજાપતીનો નાનો છોકરો ક્રિકેટ રમતા રમતા બોલ તેમના ઘરના ઉપરના માળે ગયો હતો.
આ દરમિયાન કમલાબેને બાળકને તેની માતાને બોલાવવા કહ્યું હતું. બાદમાં વિપુલભાઈની પત્ની ઉર્મિબેન પ્રજાપતી ત્યાં આવી પહોંચતા બોલના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બની જતા ઉર્મિબેને ગાળો બોલી ઘરમાંથી બેટ લાવી કમલાબેનને માર માર્યો હતો.
ફરિયાદ મુજબ, બેટ વડે કમરના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં માર મારતા કમલાબેનને મુઢ ઇજાઓ પહોંચી હતી, તેમજ હાથ અને ગાલ પર નખના નિશાન પણ પડ્યા હતા. બનાવ દરમિયાન સોસાયટીના લોકોએ વચ્ચે પડી મહિલાને વધુ મારમાંથી બચાવી હતી.
આ દરમિયાન આરોપીએ મહિલાને ધમકી આપતાં કહ્યું હતું કે ઘરનો દરવાજો બંધ કરી અંદર જતી રહે, નહીં તો જાનથી મારી નાખીશ. બનાવ બાદ કમલાબેને પતિને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં કમલાબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
આ અંગે કમલાબેન સાસિયાએ ઉર્મિબેન પ્રજાપતી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
