ભરૂચ.
ભરૂચ શહેરના મારવાડી ટેકરો વિસ્તારમાં પરિવારિક વિવાદ ઉગ્ર બનતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પુત્રએ પોતાની જ માતા પર હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવ્યાની સાથે વહુને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેનિશાબેન ઇમરાનશા દિવાન (ઉ.વ.60) પોતાની પુત્રી કરીશમા સાથે રહે છે અને ઘરકામ કરી જીવન નિર્વાહ કરે છે. તેમનો નાનો પુત્ર નવાબ છેલ્લા કેટલાક સમયથી અલગ રહેતો હતો અને તે વિરુદ્ધ અગાઉથી કોર્ટમાં કેટલાક કેસો ચાલી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
તા. 15 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે નવાબ અચાનક માતાના ઘરે આવી જોરજોરથી બુમાબુમ કરવા લાગ્યો હતો. તેણે પોતાની પત્ની અનીશાને તલાક આપી દેવાની અને તેને ઘરમાંથી કાઢી મુકવાની વાત કરી માતા પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. માતાએ તેને શાંતિ રાખવા અને ગાળો ન બોલવા કહેતાં નવાબ વધુ ઉશ્કેરાઈ ગયો હતો.
ફરિયાદ મુજબ, ગુસ્સે ભરાયેલા નવાબે ટેબલ પર મુકેલી સ્ટીલની પાણીની બોટલ ઉંચકી માતાના માથાના ભાગે મારી દીધી હતી, જેના કારણે તેમને ઇજા પહોંચી હતી. આ દરમિયાન વહુ અનીશા વચ્ચે પડી સાસુને બચાવવાનો પ્રયાસ કરતી હતી, ત્યારે નવાબે તેને પણ ગાળો બોલી ચારથી પાંચ તમાચા મારી દીધા હતા.
બનાવ બાદ આરોપીએ માતાને ધમકી આપી હતી કે જો તેની પત્ની અનીશાને ઘરમાંથી બહાર નહીં કાઢે તો તેને જાનથી મારી નાખશે. આ ધમકીથી ભયભીત બનેલી મહેનિશાબેન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
