અંકલેશ્વર:
શહેરના કપોદરા પાટિયા સ્થિત એપલ પ્લાઝા ખાતે આવેલી લેનસ્કાર્ટ કંપનીની બ્રાન્ચ સામે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા ધાર્મિક આસ્થાના સન્માન માટે શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.
આ વિરોધ લેનસ્કાર્ટ કંપની દ્વારા હિન્દુ કર્મચારીઓને તિલક, બિન્દી, કલાવો અને અંગૂઠી જેવા ધાર્મિક પ્રતિકો પહેરીને કામ પર આવવાની મંજૂરી ન હોવાના મુદ્દે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સભ્યોએ સંપૂર્ણ શાંતિ અને સંયમ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન રાખવાની માંગ ઉઠાવી.
પ્રદર્શન દરમિયાન હાજર સભ્યોએ લેનસ્કાર્ટના કર્મચારીને તિલક લગાવીને તેમની પાસે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો કે કોઈપણ પ્રકારનું દબાણ તો નથી ને. આ પ્રક્રિયા દ્વારા પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અંકલેશ્વરના જાગૃત નાગરિકો તેમજ વિવિધ હિંદુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકતા દર્શાવી હતી.
શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે સમાજના હિતના મુદ્દાઓ ઉઠાવતા રહેશે અને આવનારા સમયમાં પણ આવા સામાજિક તેમજ ધાર્મિક વિષયો પર જાગૃતિ લાવવાનું કામ ચાલુ રાખશે.
