ભરૂચ :
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ જાહેર થતા જ ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન કેબલ ટીવી નેટવર્ક અને લોકલ ન્યૂઝ ચેનલો પર પ્રસારિત થતી રાજકીય જાહેરાતોને નિયંત્રિત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
કેબલ ટેલીવિઝન નેટવર્ક રેગ્યુલેશન એક્ટ તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ વ્યક્તિ, ઉમેદવાર કે રાજકીય પક્ષ પૂર્વ મંજૂરી વિના કેબલ સેવા પર જાહેરાત પ્રસારિત કરી શકશે નહીં. રાજકીય જાહેરાતો પ્રસારિત કરવા અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અધિકૃત સમિતિ પાસેથી લેખિત મંજૂરી મેળવવી ફરજિયાત રાખવામાં આવી છે.
માન્ય રાજકીય પક્ષો અને ઉમેદવારોએ જાહેરાત પ્રસારિત કરવાના ઓછામાં ઓછા ૩ દિવસ અગાઉ અરજી કરવી જરૂરી રહેશે, જ્યારે અન્ય કિસ્સાઓમાં (પક્ષ કે ઉમેદવાર સિવાય) પ્રસારણના ૭ દિવસ પહેલા અરજી કરવાની રહેશે.
જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટની કલમ-૧૧, ૧૨ અને ૧૪ હેઠળ પ્રસારણ સાધનો જપ્ત કરવામાં આવી શકે છે. ઉપરાંત, કલમ-૧૬ અને ૧૭ મુજબ દોષિતને બે વર્ષની કેદ અથવા રૂ. ૧૦૦૦/- સુધીનો દંડ અથવા બંને સજાનો સામનો કરવો પડી શકે છે.
આ અંગેની તમામ વિગતો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદીમાં આપવામાં આવી છે.
