ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તથા તેમને પોતાના મતાધિકારનો સક્રિય ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમાર પણ હાજર રહ્યા હતા. સ્વાતિબા રાઓલજીએ દિવ્યાંગ મતદારોને સરળ અને સુલભ મતદાન પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, દરેક નાગરિક માટે મતદાન કરવું લોકશાહીની મજબૂતી માટે અત્યંત આવશ્યક છે.
કાર્યક્રમ દરમિયાન EVM અને VVPAT મશીન અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી તેમજ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ વિશે પણ સમજણ અપાઈ હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટ મંડળના સેવાકીય પ્રયત્નોને બિરદાવતાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મનો દિવ્યાંગ બાળકોના વાલીઓ તેમજ આસપાસના ગામોના દિવ્યાંગ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનિષાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેઓને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય બનાવે છે.
કાર્યક્રમને ઉપસ્થિત સૌએ સરાહનીય ગણાવ્યો હતો અને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
