ભરૂચ :
ભરૂચ અને નર્મદા જિલ્લાના દવા વેપારીઓએ બુધવારે એક દિવસીય પ્રતીક બંધ પાળી ઇ-ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બંધમાં અંદાજિત 850 જેટલા મેડિકલ સ્ટોર સંચાલકો જોડાયા હતા.
આ વિરોધ કાર્યક્રમ ‘ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન’ અને ‘ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ’ના આહ્વાન હેઠળ યોજાયો હતો.
ભરૂચ-નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહ એ જણાવ્યું હતું કે, અનેક ઇ-ફાર્મસી કંપનીઓ પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક તેમજ શિડ્યુલ-H હેઠળ આવતી દવાઓનું વેચાણ કરી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે.
તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આવી ગેરરીતિઓના કારણે યુવાનોમાં નશાની લત વધવાની શક્યતા છે. ઉપરાંત ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ, બોગસ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ અને બિનનિયમિત દવા સપ્લાય જેવી પ્રવૃત્તિઓમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભરત શાહે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોરોના કાળ દરમિયાન આપવામાં આવેલા ખાસ નોટિફિકેશનનો કેટલાક ઇ-ફાર્મસી સંચાલકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. દવા વેપારીઓએ સરકાર પાસે ગેરકાયદેસર ઓનલાઇન દવા વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની અને ઇ-ફાર્મસી પર અસરકારક નિયંત્રણ લાવવાની માંગ કરી હતી.
દવા વેપારીઓએ જણાવ્યું હતું કે, અગાઉ પણ ત્રણ વખત વિવિધ સ્તરે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, છતાં સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા કેમિસ્ટોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જોકે, સામાન્ય દર્દીઓને અગવડતા ન પડે તે માટે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાઓના વેચાણ માટે મુક્તિ આપવામાં આવી હોવાનું એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
