નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમતા હોવાના મુદ્દે સાંસદ મનસુખ વસાવા એ ગંભીર આક્ષેપો સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ને પત્ર લખતા જિલ્લામાં રાજકીય તેમજ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. સાંસદ દ્વારા કરાયેલા આક્ષેપોને લઈને હવે સમગ્ર મામલો રાજ્યકક્ષાએ ચર્ચાનો વિષય બન્યો છે.
સાંસદે પોતાના પત્રમાં આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સરહદ પરથી નર્મદા જિલ્લા સહિત ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર જેવા વિસ્તારોમાં મોટા પાયે કેમિકલયુક્ત દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે. આ ઝેરી દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ જિલ્લામાં જુગારના અડ્ડાઓ પણ ખુલ્લેઆમ ચાલી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મનસુખ વસાવાએ પોતાના પત્રમાં કોઈ રાજકીય નેતાના નામનો સીધો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ સામે આંગળી ચીંધી છે. તેમણે દારૂના સપ્લાય રૂટમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોના PSI સ્તરના અધિકારીઓની સંડોવણી હોવાનો સીધો આક્ષેપ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને આમલેથા પોલીસ સ્ટેશનની કામગીરી અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રીને પત્ર લખતા પહેલા સાંસદે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સમક્ષ પણ લેખિત રજૂઆત કરી હતી. છતાં સ્થાનિક સ્તરે કોઈ અસરકારક કાર્યવાહી ન થતા આખરે રાજ્ય સરકાર સુધી મામલો પહોંચાડવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાંસદે પોતાના પત્રમાં ગૃહમંત્રીને અપીલ કરતાં લખ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે કે, “આ કેમિકલવાળો દારૂ પીને યુવાધન ખતમ થઈ રહ્યું છે, તેને તાત્કાલિક બચાવી લો.” આ નિવેદન બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
હવે આ પત્ર બાદ રાજ્ય સરકાર દ્વારા કોઈ વિશેષ તપાસ સમિતિ નીમવામાં આવે છે કે પછી સમગ્ર તપાસ જિલ્લા પોલીસ સ્તરે જ સીમિત રાખવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે. બીજી તરફ સાંસદના આક્ષેપો બાદ પોલીસ વિભાગમાં પણ દોડધામ શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
