ભરૂચ શહેરના પાંચ બત્તી ભીડ ભજન ખાડી નજીક કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગતાં વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વારંવાર કચરામાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોમાં કચરો નાખનાર તેમજ બેદરકારી દાખવનાર લોકો સામે ભારે રોષની લાગણી જોવા મળી હતી. રહિશોએ તંત્ર પાસે નિયમિત સફાઈ અને કચરો ફેંકનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
