અંકલેશ્વર :
પાનોલી GIDC વિસ્તારમાં આવેલી મહનસરિયા ટાયર્સ પ્રા.લિ. કંપનીમાં ફોર્કલિફ્ટ મશીન પલટી જતાં એક યુવાનનું કરુણ મોત નીપજતાં ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં અંકલેશ્વરના સંજાલી ગેટ નજીક રહેતા 21 વર્ષીય ચાંદબાબુ અશફાક અહમદ અંસારી સરસ્વતી એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટ હેઠળ ફોર્કલિફ્ટ મશીન ચલાવવાનું કામ કરતા હતા. ગત 2 જૂનના રોજ તેઓ પાનોલી GIDC સ્થિત મહનસરિયા ટાયર્સ પ્રા.લિ. કંપનીના ફિનિશ ગુડ્સ સ્ટોર-1માં પ્લેટ લેવા માટે ફોર્કલિફ્ટ મશીન નંબર GJ-06-JF-3409 લઈને જઈ રહ્યા હતા.
આ દરમિયાન સ્ટોરના સ્લોપ ઉપર ચઢતી વખતે અચાનક ફોર્કલિફ્ટ મશીન જમણી બાજુ પલટી ખાઈ ગયું હતું. ઘટનામાં ચાંદબાબુ મશીન નીચે દબાઈ જતા તેમના માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવ બાદ કંપનીની એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને સારવાર માટે અંકલેશ્વરની પદ્મસિદ્ધ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે કંપનીના એચ.આર. મેનેજર મેહુલકુમાર પ્રવીણકુમાર વૈદે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
