વાંકલ :
કેન્દ્ર સરકારના સફળ અને ગૌરવશાળી 12 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે ઉમરપાડા તાલુકામાં વિવિધ જનજાગૃતિ અને વિકાસલક્ષી કાર્યક્રમોની શ્રેણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના વાડી ગામ સ્થિત નિરાંત મંદિરના પ્રાંગણમાં તાલુકા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ ઉમરપાડા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી સપનાબેન વસાવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને આગેવાનો સાથે મળીને મંદિર પરિસરમાં શ્રમદાન દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સમગ્ર તાલુકામાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિશ્વ યોગ દિવસની ઉજવણી, વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. ઉપરાંત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમો પણ હાથ ધરાશે.
તેમણે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ સ્વસ્થ સમાજની ઓળખ છે. ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજી સહભાગી થવું જરૂરી છે.”
કાર્યક્રમમાં વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ, અગ્રણી હરીશભાઈ, તાલુકા કો-ઓર્ડિનેટર હરેશભાઈ, ટી.પી.ઓ. રાજેશભાઈ, સ્થાનિક મેડિકલ ઓફિસર સહિત મોટી સંખ્યામાં ગામના યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
