વાંકલ :
ઉમરપાડા તાલુકાના વાડી ગામના કેલીકુવા ફળિયામાં અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે ભારે પવન અને વરસાદને કારણે નુકસાન સર્જાતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. વીજળીના કડાકા-ભડાકા સાથે આવેલા વરસાદ દરમિયાન ત્રણ મકાનોના પતરા ઉડી ગયા હતા, જ્યારે એક પરિવારનો ઢોર બાંધવાનો શેડ પણ ધરાશાયી થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મોડી સાંજે વિસ્તારમાં અચાનક તીવ્ર પવન ફૂંકાવા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના કારણે કેટલાક મકાનોના છાપરાં અને પતરા ઉડી જતા પરિવારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ઉપરાંત એક પરિવારનો પશુઓ માટે બનાવેલો શેડ પણ તૂટી પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
બનાવની જાણ થતાં વાડી ગામના તલાટી કમ મંત્રી તાત્કાલિક સ્થળ પર પહોંચી નુકસાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પ્રાથમિક સર્વે હાથ ધર્યો હતો. અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત પરિવારોની વિગતો નોંધવામાં આવી હતી.
પ્રાથમિક અંદાજ મુજબ કુલ આશરે ₹43,600નું નુકસાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ સંબંધિત વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વાડી ગામ પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાનું વતન ગામ છે. અચાનક બદલાયેલા વાતાવરણ અને તેજ પવનને કારણે ગ્રામ્ય વિસ્તારમાં સર્જાયેલા નુકસાનથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
