વાંકલ : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૫૬ પર ગત રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે માસૂમ બાળકો સહિત અન્ય ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની અને હાલ કેવડી પ્રાથમિક શાળા પાસે રહી L&T કંપનીમાં પાઈપલાઈન નાખવાની મજૂરી કરતા અનુરામભાઈ ગોરસિંગભાઈ કહોરી પોતાના પરિવાર તથા સગા-સંબંધીઓ સાથે વાડી ગામે ખેતરમાં મજૂરી કામ માટે ગયા હતા. રાત્રે કામ પૂર્ણ કરી તેઓ સ્વરાજ ટ્રેક્ટર નંબર GJ-19-BJ-6160માં બેસી પોતાના મુકામે પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન વાડી ગામની સીમમાં આવેલી ‘યાહા મોંગી’ હોટલ નજીક પાછળથી પુરઝડપે આવી રહેલી ભારતબેન્ઝ કંપનીની હાઈવા ટ્રક નંબર DD-01-R-9013ના ચાલકે ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેક્ટરમાં સવાર લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.
અકસ્માતમાં અર્જુનભાઈ રાયચંદભાઈ કહોરીને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી અનુરામભાઈ તથા ત્રણ વર્ષના માસૂમ શ્રવણકુમાર કહોરીને ઝંખવાવ સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા રાયચંદભાઈ તેરસિંગભાઈ કહોરી અને ટ્રેક્ટર ચાલક શંકરભાઈ પરસુભાઈ શેલદાને વધુ સારવાર માટે માંડવી સ્થિત આત્મિય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ ટ્રક ચાલક અંધારાનો લાભ લઈ વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
હાલ મૃતકના મૃતદેહને ઝંખવાવ સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
