ભરૂચ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સહજાનંદ એવન્યુના સક્રિય કાર્યકરો દ્વારા પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે સોસાયટીની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. સાથે જ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં શનિભાઈ પટેલ, ભાવિશા પટેલ, મિતેશભાઈ સવાણી, કૃપાલી સવાણી, પ્રજ્ઞેશ પટેલ, અનસૂયા પટેલ, જયંતીભાઈ પટેલ, કિશોરભાઈ રોકડિયા, પ્રદીપભાઈ પટેલ, મયંકભાઈ હિંગુ, વીરુભાઈ રાજ્યગુરુ તથા સુલભ શ્રીવાસ્તવનો નોંધપાત્ર સહયોગ અને યોગદાન રહ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ સહકાર આપનાર શ્રી સંતોષભાઈ દિનાકરણનો સહજાનંદ એવન્યુ પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સહજાનંદ એવન્યુ પરિવાર દ્વારા જણાવાયું હતું કે પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળી વધારવા માટે તેઓ હંમેશા કટિબદ્ધ રહેશે અને આવનારા સમયમાં વધુમાં વધુ વૃક્ષારોપણ સાથે તેના યોગ્ય જતન માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે. માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વાવવામાં આવેલા વૃક્ષોનું યોગ્ય જતન અને સંવર્ધન કરવાની જવાબદારી પણ પરિવારોએ સ્વીકારી હતી.
