ભરૂચ : ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા રૂ. 40 લાખના ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 દરમિયાન ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટ હેઠળ ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઈન છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી મિલનભાઈ સંજયભાઈ ચંદારાણા (ઉ.વ. 23), રહે. ભરતનગર, ભાવનગર છેલ્લા એક વર્ષથી ફરાર હતો.
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી ટેલીગ્રામ મારફતે Binance એપ્લિકેશન ઉપર USDTમાં P2P ટ્રેડિંગ અંગે માહિતી મેળવી સાયબર ફ્રોડના નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરતો હતો. ત્યારબાદ વિવિધ બેંક એકાઉન્ટ મારફતે નાણાં ટ્રાન્સફર કરી ભારતીય ચલણમાં રૂપાંતર કરતો હતો. આ માટે તે પોતાના મિત્રોના બેંક એકાઉન્ટ કમિશન અથવા ભાડે મેળવી તેનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
પકડથી બચવા માટે આરોપી અમદાવાદ ખાતે ભાડાની ગાડીઓ ચલાવી અલગ-અલગ સ્થળોએ નાસતો ફરતો હતો. જોકે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. તપાસમાં પો.ઈ. આર.સી. વસાવા, પો.ઈ. કે.ડી. માંગરોળિયા સહિત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરે.
