। ભરૂચ ।
ભરૂચની ઐતિહાસિક ધરોહર જામા મસ્જિદને લઈને વિવાદ દિનપ્રતિદિન વકરી રહ્યો છે. પહેલાં જામા મસ્જિદમાં બળજબરીથી પૂજા કરવાનો પ્રયાસ બાદમાં મસ્જિદના ભોંયરામાં જબરજસ્તીથી પ્રવેશ કરવો ઐતિહાસિક ધરોહરની મુળ સ્થિતી પર પ્રશ્નો ઉભા કરવાની ઘટના બાદ હવે જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજે આ સ્થળ મુળ સમડી વિહાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ભરૂચની ઐતિહાસિક ધરોહર એવી જામા મસ્જિદ છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચાનો વિષય બની છે. કેટલાંક લોકો દ્વારા તેને હિન્દુ સ્થાપત્ય કે જૈન મંદિર કે ચક્રધર સ્વામીનું જન્મસ્થળ તરીકે ઓળખાવતાં વિવાદ સર્જાયો છે. જામા મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા આ ધરોહર જામા મસ્જિદ જ હોવાના પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યાં છે. ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો છે કે, પુરાતત્વ વિભાગ પાસે પણ તમામ દસ્તાવેજી પુરાવા છે જેમાં આ ઈમારત જામા મસ્જિદ જ હોવાનું નોંધાયું છે તેમ તેમણે જણાવ્યું છે. ત્યારે શુક્રવારે જૈન સમાજે પણ સમગ્ર વિવાદમાં પોતાની એન્ટ્રી કરતાં મામલો પુન: ચર્ચાના એરણે પહોંચ્યો છે.
જૈન સંત રાજસુંદર વીજયજી મહારાજે જણાવ્યુ છે કે, તેમણે જામા મસ્જિદના કેટલાંક શિલ્પ અને સ્થાપત્યો જાતે જોયા છે. જોકે, તેમને ભોંયરામાં જવાની મંજૂરી મળી ન હતી. હાલમાં વાયરલ થયેલા ભોંયરાના વિડીયોમાં કેટલું સત્ય છે તે અંગે તેઓએ કાંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે ઉમર્યું હતું કે, અન્ય સંતો અને ધાર્મિક આગેવાનો સાથે તયેલી ચર્ચામાં તથા ત્યાં જે શિલ્પકળા દેખાય છે તેના આધાર મસ્જિદ નીચે મૂર્તીઓ હોવાની પૂરી શક્યતાઓ છે.
જામા મસ્જિદને લઈને તેમણે ચોંકાવનારો ઈતિહાસ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સ્થળ સમડી વિહાર છે. તેમણે ઉમેર્યું હતું કે, એક વાયકા અનુસાર સદીઓ પહેલાં આ વિસ્તારમાં જંગલ હતું ત્યારે એક સમડીને કોઈ શિકારીએ બાણ મારતાં તે તિક્ષ્ણ બાણથી થાયલ થઈને જમીન પર પડી હતી. તે વેળાં ત્યાંથી વિહાર કરી રહેલાં જૈન સાધુઓએ તેને જોઈને તે મરણાસન હાલમાં હોઈ તેને પવિત્ર નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો હતો. જેથી સમડીએ ત્યા સમાધિ મરણ પ્રાપ્ત કર્યું હતું. તેમજ મહામંત્રના પ્રભાવથી તેનો લંકાના રાજપરિવારમાં રાજકુમારી તરીકે પુન: જન્મ થયો હતો. સમયાંતરે જ્યારે લંકાની રાજસભામાં એક શખ્સે છીંક ખાતાં તેમણે આ મહામંત્રનો ઉચ્ચારણ કરતાં રાજકુમારીને આ મહામંત્ર ક્યાં સાંભળ્યો હોવાનો આભાસ થયો હતો. બાદમાં તેમને પૂર્વજન્મ યાદ આવ્યો હતો. જેથી તેમણે પૂર્વભવના ઉદ્ધાર બદલ ભરૂચની પવિત્ર ભૂમિ પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે લંકાથી અઢળક સંપતિ લાવી અહીં ભવ્ય જૈન તિર્થ સમડી વિહારનું નિર્માણ કરાવ્યું હતું.
