ભરૂચ:
દેશવ્યાપી ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ના ભાગરૂપે ભરૂચમાં સાધુ-સંતો, ગૌભક્તો અને સ્થાનિક નાગરિકોએ ગૌવંશની સુરક્ષા, ગૌસેવા અને ગૌપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
પાંજરાપોળથી શરૂ થયેલી રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. મોટી સંખ્યામાં જોડાયેલા ગૌભક્તોએ ગૌવંશના સંરક્ષણ માટે દેશવ્યાપી નીતિ ઘડવાની અને ગૌપાલનને પ્રોત્સાહન આપવા માટે અલગ **‘ગૌપાલન મંત્રાલય’**ની સ્થાપના કરવાની માંગ કરી હતી.
આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગૌવંશના સંરક્ષણ માટે સમગ્ર દેશમાં એકસમાન અને અસરકારક કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેમજ ગૌઆધારિત ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપતી નીતિઓ ઘડવામાં આવે.
અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ, 27 એપ્રિલ, 2026ના રોજ દેશના 5,100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને પાંચ કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષરો સાથે ગૌસેવા અને ગૌસુરક્ષા અંગેનું પ્રાર્થનાપત્ર સરકારને પાઠવવામાં આવ્યું હતું. તેમ છતાં માંગણીઓ અંગે સંતોષકારક કાર્યવાહી ન થતાં 27 જુલાઈના રોજ દેશભરમાં એકસાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સાધુ-સંતોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌમાતાનું વિશિષ્ટ સ્થાન છે. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા, ગૌવંશના સંરક્ષણ માટે અસરકારક કેન્દ્રીય કાયદો બનાવવા અને ગૌઆધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા નક્કર અને કાયદાકીય પગલાં ભરવાની જરૂરિયાત છે.
કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો અને અંતે પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.
