ભરૂચ.
ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક સમાચાર માધ્યમોમાં સક્રિય રીત ફરજ બજાવતાં પત્રકારો, કેમેરામેનોનું ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નામે એક ખાસ સંગઠન છેલ્લાં 12 વર્ષથી કાર્યરત છે. આ વર્ષોમાં બીએજેએ ( ભરૂચ એક્ટિવ જર્નાલિસ્ટ એસોસીએશન) દ્વારા વિવિધ પ્રકારના સેવાકાર્યો કરવામાં આવ્યાં છે. જેમાં શહેરના ગરીબ વિસ્તારમાં મેડિકલ કેમ્પ, આંખોનો કેમ્પ, વૃક્ષારોપણ, સ્વચ્છતા જાગૃતિ સહિતના અનેક પ્રકારના કાર્યો થકી લોકોની સેવાની સાથે સાથે લોક જાગૃતિના પણ વિવિધ કાર્યક્રમોને સફળતાં પુર્વક પાર પાડ્યાં છે. ત્યારે શનિવારે ભરૂચની ગંગોત્રી હોટલમાં સાંજે 5 વાગ્યે ભરૂચ સક્રિય પત્રકાર સંઘની 13મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરના અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સાથે જોડાયેલાં પત્રકાર સભ્યોએ ખાસ હાજરી આપી હતી. સામાન્ય સભામાં અગાઉની સામાન્ય સભામાં લેવાયેલાં નિર્ણયોની ચર્ચા અને તેની બહાલી આપવામાં આવી હતી. ઉપરાંત કારોબારીની બેઠકમાં મળેલાં મુદ્દાઓને લઇને પણ ચર્ચા વિચારણા કરી તેને પણ બહાલી આપવામાં આવી હતી. સંસ્થાના આગામી ટર્મના પ્રમુખ માટેની ચૂટણીનું આયોજન કરવામાં આવતાં પૂર્વ પ્રમુખ દિનેશ અડવાણીએ તેમનું નામાકંન કર્યું હતું. જોકે, તેમની સામે અન્ય કોઇએ દાવેદારી નહીં કરતાં હાજર સભ્યોની સર્વસંમતિથી તેમને પુન: પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. દિનેશ અડવાણીએ તેમના પર વિશ્વાસ મુકી તેમને પુન: પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતાં સર્વ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
