ભરૂચ :
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે ગંભીર તબક્કે પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા આહ્વાનો અને 15 જૂને મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શક્યતા વચ્ચે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને સત્તાવાર પત્ર લખી એલર્ટ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મહત્વના સંરક્ષિત સ્મારકને સંભવિત નુકસાન તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની ચેતવણી સાથે તાત્કાલિક કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
ASI વડોદરા સર્કલ દ્વારા મોકલાયેલા પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર થઈ રહેલા આહ્વાનોને હળવાશથી લઈ શકાય તેમ નથી. જો સમયસર યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં નહીં આવે તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે છે, જેના કારણે સાંપ્રદાયિક તણાવ ઊભો થવાની સાથે ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય મહત્વના સંરક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલી જુમ્મા મસ્જિદની સુરક્ષા ASIની જવાબદારી હેઠળ આવે છે. આ પરિસ્થિતિમાં ASIએ જિલ્લા વહીવટીતંત્રને સોશિયલ મીડિયા પર કડક નજર રાખવા, કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ભીડને રોકવા અને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે.
પત્રમાં અગાઉ કલેક્ટરની સૂચના મુજબ મસ્જિદના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા બંધ રાખવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે બીજી તરફ મસ્જિદ ટ્રસ્ટ દ્વારા શુક્રવારની નમાજ દરમિયાન બહાર નીકળવાનો દરવાજો ખોલવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
હવે સવાલ એ છે કે સોશિયલ મીડિયા પર આવા આહ્વાનો પાછળ કોણ છે? શું ભરૂચની શાંતિ અને સૌહાર્દને ડહોળવાનો કોઈ પ્રયાસ થઈ રહ્યો છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે દેશની ઐતિહાસિક ધરોહરની સુરક્ષા સામે ઊભા થયેલા આ પડકારને તંત્ર કેટલી ગંભીરતાથી લે છે?
ASIના પત્ર બાદ ભરૂચનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. હવે 15 જૂન પૂર્વે તંત્ર કયા પગલાં લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
