ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મોંઘવારી મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી હતી.
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, “ભાજપની સરકાર એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર.” તેમણે આક્ષેપ કર્યો હતો કે સામાન્ય જનતા આજે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં અનેકગણી મોંઘવારીનો સામનો કરી રહી છે.
તેમણે જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલ, ખાતર સહિત દૈનિક ઉપયોગની અનેક ચીજવસ્તુઓના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સામાન્ય લોકોની આવક કે પગારધોરણમાં તે પ્રમાણમાં વધારો થયો નથી. જેના કારણે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગનું જીવન મુશ્કેલ બન્યું છે.
રાજેન્દ્રસિંહ રણાએ વધુમાં જણાવ્યું કે, “આજે 25 હજાર રૂપિયા મહિને કમાતો વ્યક્તિ પણ પરિવારનું ગુજરાન સરળતાથી ચલાવી શકતો નથી.” મોંઘવારીના કારણે ઘરખર્ચ, શિક્ષણ, આરોગ્ય અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી સામાન્ય માણસ માટે પડકારરૂપ બની ગઈ છે.
મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે ‘હલ્લા બોલ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, કોંગ્રેસના પ્રવક્તા નાઝૂ ફડવાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતાં. કોંગ્રેસનો આક્ષેપ છે કે વિરોધ દરમિયાન પોલીસે દમનકારી વલણ અપનાવી અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો મોંઘવારી ઘટાડવા માટે સરકાર અસરકારક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.
