ભરૂચમાં સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘સ્વરાકાર 2026’ કાર્યક્રમ સંગીતરસિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદ વચ્ચે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીય સંગીતના સુમધુર સૂરોએ ઉપસ્થિત સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.
કાર્યક્રમના પ્રથમ સત્રમાં વાંસળીવાદક પંડિત અમર ઓકે દ્વારા રાગ પૂરીયા ધનાશ્રી અને રાગ દુર્ગાની અદ્ભુત રજૂઆત કરવામાં આવી હતી. તેમની મધુર વાંસળીના સૂરોએ હાજર શ્રોતાઓને સંગીતની અલૌકિક દુનિયામાં લઈ ગયા હતા. આ રજૂઆતમાં તબલા પર અજિંક્ય જોશી એ સુંદર સંગત આપી કાર્યક્રમને વધુ મનોહર બનાવ્યો હતો.
કાર્યક્રમના બીજા સત્રમાં વિદુષી ગાયત્રી જોશી દ્વારા રાગ જોગ તેમજ ભૈરવી ઠુમરીની ભાવસભર રજૂઆત કરવામાં આવી હતી. તેમના સ્વરમાં રહેલી ગહનતા અને ભાવોએ સંગીતરસિકોના હૃદયને સ્પર્શ્યા હતા. આ સત્રમાં હાર્મોનિયમ પર આકાર સુરતી તથા તબલા પર ફરી એકવાર અજિંક્ય જોશી એ ઉમદા સંગત આપી હતી.
આ પ્રસંગે ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ વરિષ્ઠ સંગીતકાર સુકેતુ ઠાકર નું સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન ના ડિરેક્ટર ડો. પલક કાપડિયા અને સ્વરાકાર ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોની મનમોહક રજૂઆતને હૃદયપૂર્વક વધાવી હતી. ‘સ્વરાકાર 2026’ એ ભરૂચના સાંસ્કૃતિક જીવનમાં શાસ્ત્રીય સંગીતની સુગંધ વધુ ગાઢ બનાવતો એક યાદગાર કાર્યક્રમ સાબિત થયો.
