ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં શનિવારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે પવનના કારણે ઝડપથી ફેલાઈ ગઈ અને પાંચ જેટલા ઝૂંપડાંને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.
આગ લાગતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું.
સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પાંચ જેટલા પરિવારોનું આશ્રયસ્થાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે. આગમાં ઘરવખરીનો સામાન, કપડાં તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ બળી જતાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
ચોમાસાની શરૂઆત પહેલાં જ માથા ઉપરનું છાપરું ગુમાવતા અસરગ્રસ્ત પરિવારો સામે હવે રહેવા અને જીવન ફરી ગોઠવવાનો મોટો પડકાર ઊભો થયો છે. રોજિંદી મજૂરી કરીને ગુજરાન ચલાવતા આ પરિવારો માટે હાલ તાત્કાલિક સહાયની જરૂરિયાત ઊભી થઈ છે.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે મદદ પહોંચાડવાની માંગ પણ ઉઠી રહી છે.
