નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખુટાઆબા ગામમાં ભારે વરસાદના કારણે ગામને મુખ્ય માર્ગ સાથે જોડતું નાળું તૂટી જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નાળું ધોવાઈ જતાં ગામનો સંપર્ક ખોરવાઈ ગયો હોવાથી વિદ્યાર્થીઓ, ખેડૂતો, દર્દીઓ તેમજ રોજગાર માટે બહાર જતાં લોકોની અવરજવર જોખમી અને કઠિન બની ગઈ છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વરસાદ બાદ નાળું સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બનતાં લોકોને જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. વરસાદી માહોલમાં કોઈ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વચ્ચે લોકો સતત ભયના માહોલમાં જીવન પસાર કરી રહ્યા છે. તેમ છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે હજુ સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે ચૂંટણી સમયે વિકાસના મોટા મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક મુશ્કેલીના સમયમાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાંય જોવા મળતા નથી. વિકાસના દાવાઓ માત્ર ભાષણો અને કાગળો પૂરતા જ સીમિત રહી ગયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ નાળાના સમારકામ ઉપરાંત કાયમી મજબૂતીકરણની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી ગામને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ નહીં બને, ત્યાં સુધી વિકાસના દાવાઓનો કોઈ અર્થ રહેતો નથી.
ગ્રામજનો હવે માત્ર આશ્વાસનો નહીં, પરંતુ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી ઈચ્છી રહ્યા છે. સમયસર કામગીરી નહીં થાય તો વરસાદી મોસમ દરમિયાન કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તેવી પણ સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે.
