ભરૂચ :
મોહરમ પર્વ નિમિત્તે ભરૂચ શહેરમાં નીકળનારા તાજીયા જુલૂસ દરમિયાન ટ્રાફિક જામ અને અકસ્માત જેવી પરિસ્થિતિ નિવારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ-33(1)(બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આવતી તા. 26/06/2026ના રોજ ઈમામ હુસેનની યાદમાં ભરૂચ શહેર ‘A’ અને ‘B’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજીયા કમિટી દ્વારા તાજીયા જુલૂસ કાઢવામાં આવશે. તાજીયા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફાટા તળાવ ચાર રસ્તા થઈ કતોપોર સ્લોપ ખાતે આવેલ મૌલા અલી બાવાની દરગાહે સલામી આપવા જશે. ત્યારબાદ તમામ તાજીયા કતોપોર બજાર, મોટા ચાર રસ્તા થઈ ફુરજા બંદર ખાતે ઠંડા કરવામાં આવશે.
જુલૂસ દરમિયાન ફાટા તળાવ, કતોપોર સ્લોપ, કતોપોર બજાર અને ફુરજા રોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાથી ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જાહેરનામા મુજબ તા. 25/06/2026ના રાત્રે 21:00 કલાકથી તા. 26/06/2026ના સવારે 04:00 કલાક સુધી તેમજ તા. 26/06/2026ના બપોરે 15:00 કલાકથી તા. 27/06/2026ના સવારે 04:00 કલાક સુધી નિર્ધારિત માર્ગો પર વાહન વ્યવહાર પ્રતિબંધિત રહેશે.
પ્રતિબંધિત રૂટમાં ફાટા તળાવથી કતોપોર સ્લોપ થઈ જુમ્મા મસ્જિદ, ફાટા તળાવથી મોટા ચાર રસ્તા થઈ ફુરજા બંદર, ફાટા તળાવથી નગીના મસ્જિદ-છીપવાડ ચોક સુધી તેમજ સોનેરી મહેલથી કતોપોર સ્લોપ સુધીના માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો માટે વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે જેથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે.
પ્રશાસને નાગરિકોને જાહેરનામાનું પાલન કરવા, ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા અને ટ્રાફિક પોલીસને સહકાર આપવા અપીલ કરી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.
