ભરૂચના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશૂરા પર્વની ઉજવણી કરાઈ હતી. આજથી ૧૩૮૮ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં ધોમધખતા તાપમાં અસત્ય સામે જંગ છેડનાર હજરત ઇમામ હુસેન અને તેઓના જાંબાઝ સાથીઓ અસત્ય સામે શીશ ન જુકાવી સત્ય માટે સતત દસ દસ દિવસ સુધી યઝીદના લશકર સામે હામ ભીડી જંગ લડયા હતા. સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો પવિત્ર મોહરમ માસમાં કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ માસમાં શહીદોને પાદ કરી ખિરાજે અકિદત (શ્રદ્ધાંજલી) અર્પણ કરે છે.
આશુરા પર્વ નિમિત્તે નગરની મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે નવ વાગયે દરેક મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. નગરની મસ્જિદોમાં આશુરા પર્વ નિમિત્તે વિશેષ નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી. મક્કા મસ્જિદના ખતિબો ઈમામ સાહેબે આશુરાની દુઆ હાજરજનોને પઢાવી હતી. ત્યારબાદ વિશેષ દુઆ ગુજારી સલાતો સલામના પઠન આદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું, મક્કા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. નગરના વિવિધ વિસ્તારોમાં સરબતની સબિલો પણ જોવા મળી હતી. મુસ્લિમ યુવાનો રાહદારીઓને સરબત પીવડાવતા નજરે પડયા હતા…
