ભરૂચ જિલ્લાના વાગરા વિસ્તારમાં આવેલી શ્યામ આર્શિવાદ સોસાયટીમાં ગઈકાલે સવારે પડોશી વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બની જતા મારામારી અને ધમકી સુધી મામલો પહોંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. બંને પક્ષોએ એકબીજા સામે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એક તરફ સંજુબેન ઉર્ફે સેજલબેન રવિરાજસિંહ રાણા (ઉંમર 26) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે સામે પક્ષે દર્શનાબેન નિતેન્દ્રસિંહ ફતેસિંહ સોલંકી (ઉંમર 36) દ્વારા પણ કાઉન્ટર ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, સવારે અંદાજે 11:30 વાગ્યાના સમયે રસ્તા પર પાણી ઢોળવા અને કચરો બાબતે થયેલી બોલાચાલી બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. બંને પક્ષોએ એકબીજા સામે ગાળો બોલવા, ઝપાઝપી કરવા અને મારામારીના આક્ષેપ કર્યા છે.
એક પક્ષના આક્ષેપ મુજબ, ગંદકી અને દાણા નાખવાની બાબતે થયેલી જૂની અદાવતને લઈને બોલાચાલી દરમિયાન મહિલાને ઢીકાપાટુ માર મારવામાં આવ્યો હતો અને સાથે ધમકી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જ્યારે સામે પક્ષના આક્ષેપ મુજબ, પાણી ઢોળવા અને દાણા નાખવાના મુદ્દે બોલાચાલી દરમિયાન સામે પક્ષે ગાળો આપી મારામારી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતા વધતા બંને પક્ષે 112 જનરક્ષક સેવા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને પક્ષોને વાગરા પોલીસ સ્ટેશન લઈ જઈ પ્રાથમિક નોંધણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને કારણે શ્યામ આર્શિવાદ સોસાયટી વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ પણ બંને પક્ષો વચ્ચે નાની-મોટી બાબતોને લઈને વિવાદ થતા રહ્યા છે.
પોલીસ દ્વારા હાલ બંને ફરિયાદોની નોંધ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
