ભરૂચ
ભરૂચ જિલ્લાના નબીપુર ઓવરબ્રિજ નજીક રવિવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડીઝલ ભરેલું ટેન્કર પલટી જતા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, “ન્યુ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન કંપની”ની ડીઝલ ટેન્કર ગાડી નં. GJ-32-5284 ડીઝલ ડિલિવરી માટે કરજણ તરફ જઈ રહી હતી. વાહનના ડ્રાઈવર સુભાષકુમાર રામદેવ શર્મા અને સાથે રાકેશકુમાર સંતોષીલાલ શર્મા હાજર હતા. સવારે આશરે 10 વાગ્યાના અરસામાં નબીપુર બ્રિજ ઉતરતા માર્ગ પર ગાડીનું ટાયર ફાટી જતા ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટેન્કર રસ્તા પર પલટી ગયું હતું. અકસ્માત બાદ ડ્રાઈવર સુભાષકુમાર અને રાકેશકુમાર બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને બંનેને તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાકેશકુમાર શર્માને ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ડ્રાઈવર સુભાષકુમારને ડાબા હાથ અને ખભામાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે અને તેઓ સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ વાહનનું ટાયર ફાટવું અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર તપાસ બાદ જ સંપૂર્ણ હકીકત બહાર આવશે. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
