ભરૂચ
આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયાની દુનિયામાં વ્યસ્ત છે, ત્યાં ગામડાઓની જૂની પરંપરાગત લોકકલાઓ ધીમે ધીમે લુપ્ત થતી જોવા મળી રહી છે. પરંતુ ભરૂચ તાલુકાનું જુના તવરા ગામ આ પ્રવાહમાં એક સુંદર અપવાદ સાબિત થયું છે.
અહીં આજે પણ વર્ષો જૂની બહુરૂપી કલા જીવંત જોવા મળે છે, જે ગામના લોકોને માત્ર મનોરંજન જ નથી આપતી પરંતુ ભૂતકાળની સંસ્કૃતિ અને પરંપરાની યાદ પણ તાજી કરે છે.
ગામમાં છેલ્લા 35 વર્ષથી નટવર મહારાજ નામના કલાકાર નિયમિત રીતે આવતા રહ્યા છે અને દર વર્ષે લગભગ બે મહિના સુધી પોતાના અનોખા બહુરૂપી વેશ દ્વારા ગ્રામજનોનું મનોરંજન કરે છે. તેઓ સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અલગ-અલગ પાત્રો ધારણ કરીને લોકો સમક્ષ પ્રસ્તુતિ આપે છે.
તેમની રજૂઆતમાં દેવી-દેવતાઓ, સંત-મહાત્માઓ અને લોકકથાઓ આધારિત પાત્રો ઉપરાંત નૃત્ય અને હાસ્યના દ્રશ્યો પણ હોય છે, જે બાળકો સહિત તમામ વયના લોકોમાં ભારે આકર્ષણ જમાવે છે.
ગામના લોકો જણાવે છે કે જ્યારે નટવર મહારાજ શેરીઓમાં વિવિધ વેશ ધારણ કરીને ફરતા હોય છે ત્યારે આખું ગામ એકઠું થઈ જાય છે. બાળકો ઉત્સાહભેર તેમની પાછળ દોડી પડે છે, જ્યારે વડીલો પણ આ પરંપરાગત કલા નિહાળી આનંદ અનુભવે છે.
આ પ્રવૃત્તિએ સાબિત કર્યું છે કે ટેકનોલોજીના આ આધુનિક યુગમાં પણ જો સંસ્કૃતિ અને પરંપરા જીવંત રાખવામાં આવે તો તે સમાજને જોડવાનું અને આનંદ આપવાનું કાર્ય આજે પણ એટલું જ અસરકારક છે.
જુના તવરા ગામની આ પરંપરા ખરેખર લોકકલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
