ભરૂચ
અંકલેશ્વર નજીક નવજીવન હોટલ સામે સુરત-અંકલેશ્વર હાઇવે પર શુક્રવારે સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ બાવચંદભાઈ વઘાસીયાના પિતા ભાવચંદભાઈ મગનભાઈ વઘાસીયા તથા તેમના કાકા બાબુભાઈ મગનભાઈ વઘાસીયા મોટરસાયકલ નં. GJ-05-HL-1423 પર ગલેઠી ગામથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન નવજીવન હોટલ સામે રોડ ક્રોસ કરતી વખતે સુરત તરફથી અંકલેશ્વર જઈ રહેલી ઈકો કાર નં. GJ-16-Z-6587 સાથે તેમની મોટરસાયકલની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કરના કારણે મોટરસાયકલ સવાર બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ ઈકો કાર ચાલકની બેદરકારી અને પૂરઝડપે વાહન હંકારવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે, જોકે સત્તાવાર તપાસ બાદ જ સંપૂર્ણ હકીકત બહાર આવશે.આ અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
