અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં વરસાદ બાદ સર્જાયેલી કાદવ અને ગંદકીની સમસ્યાએ જાણે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતાને ખુલ્લી પાડી દીધી છે. રસ્તાઓની હાલત એવી બિસ્માર બની ગઈ છે કે સામાન્ય લોકોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે એક અંતિમયાત્રાને પણ કાદવ અને કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારના રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. વરસાદ પડતા સમગ્ર માર્ગ કાદવના તળાવમાં ફેરવાઈ જાય છે. દૈનિક અવરજવર જોખમી બની ગઈ હોવા છતાં જવાબદાર વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી તેવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે.
અંતિમયાત્રા દરમિયાન મહિલાઓ, વૃદ્ધો અને અન્ય લોકોને ગંદકી અને કીચડ વચ્ચેથી પસાર થવું પડ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે જીવતા લોકોને તો હાલાકી ભોગવવી જ પડે છે, પરંતુ હવે મૃતકોને અંતિમ વિદાય આપવામાં પણ ગૌરવ જળવાઈ રહે તેવી સ્થિતિ રહી નથી.
સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે આખરે જવાબદાર વિભાગ ક્યારે જાગશે? શું કોઈ મોટી દુર્ઘટના અથવા જનઆંદોલનની રાહ જોવાઈ રહી છે?
પ્રાથમિક માહિતી મુજબ આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારક્ષેત્રમાં આવે છે. સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ, કાદવ દૂર કરવાની કામગીરી અને કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો હવે પણ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.
