ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક આવેલી કિંજલ કેમિકલ્સ કંપની સામે પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કંપનીમાંથી લીક થયેલું કેમિકલયુક્ત પાણી બહારથી પસાર થતી કાંસમાં ભળી નજીકના ખેતરોમાં પહોંચતા ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાની ફરિયાદ ઉઠી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કંપનીની ટાંકી અને પાઇપલાઇન વચ્ચેના વાલ્વમાંથી મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી બહાર નીકળતાં સમગ્ર ઘટના સામે આવી હતી. કંપનીની બહાર વહેતું પાણી કાંસ મારફતે ખેતીવાડી વિસ્તારમાં પહોંચી જતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
આ ઘટના આકસ્મિક રીતે પાઇપલાઇન અથવા વાલ્વમાં ખામી સર્જાવાને કારણે બની હતી કે પછી ઇરાદાપૂર્વક પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું, તે હવે તપાસનો વિષય બન્યો છે.
ખેડૂત અગ્રણી સોહલ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન કિંજલ કેમિકલ્સ તરફથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાકને નુકસાન થાય છે. તેમણે જણાવ્યું કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ખેડૂતો કંપની સામે તાળાબંધી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે.
ખેડૂતોએ સમગ્ર મામલે સંબંધિત તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ સત્તાધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
