ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ શાક માર્કેટ નજીક આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા એક ક્લાસ-વન અધિકારીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. મૂળ અમરેલીના પિયુષકુમાર મનુભાઈ ઉકાણી ભરૂચમાં આયોજન વિભાગમાં ફરજ બજાવતા હતા અને આશરે એક મહિના પહેલાં જ તેમણે ભરૂચમાં ચાર્જ સંભાળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સોમવારે તેમના ભાડાના મકાનમાંથી તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસને ઘરમાંથી એક અંતિમ ચિઠ્ઠી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિઠ્ઠીમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ અને ક્રેડિટ કાર્ડનું દેવું વધી ગયું હોવાનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. જોકે, ચિઠ્ઠીની વિગતો અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવાર કામ અર્થે સુરત ગયો હતો અને અધિકારી ઘરે એકલા હતા. આ દરમિયાન તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
