વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ સ્થિત હનુમાનજી મંદિર ખાતે સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રહેલી 21 ફૂટ લાંબી વિશાળકાય દિવ્ય ગદાનું ભવ્ય અને શ્રદ્ધાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દિવ્ય ગદાના દર્શન માટે વહેલી સવારથી જ વાંકલ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું.
આ પાવન પ્રસંગે હનુમાનજી મહારાજની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દિવ્ય ગદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ ગદા યાત્રા ઉદયપુરની કંચન સેવા સંસ્થાન (હનુમંત ધામ)ના તત્ત્વાધાન હેઠળ યોજાઈ રહી છે. સંસ્થાન દ્વારા ઉદયપુર ખાતે સનાતન ધર્મની 84 લાખ યોનિઓની પરિકલ્પનાને ધ્યાનમાં રાખીને 11 મુખી હનુમંત ધામ તેમજ હનુમાનજીની 84 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ધાર્મિક કાર્યમાં શ્રદ્ધાળુઓ યથાશક્તિ દાન આપી સહભાગી બની રહ્યા છે.
વાંકલ ખાતે દર્શન અને પૂજન બાદ 21 ફૂટની આ દિવ્ય ગદા દેશના અન્ય ધાર્મિક સ્થળોએ ભ્રમણ માટે આગળ પ્રસ્થાન કરશે.
