ભરૂચ :
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ત્રણ વર્ષની બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ચાંદીપુરા માટેના વિશેષ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલ બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
બાળકીના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. હાલમાં તેને શંકાસ્પદ કેસ તરીકે જ લેવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મુનિરા શુકલાએ લોકોને ગભરાયા વગર સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે બાળકોમાં ખૂબ ઊંચો તાવ, ઉલટી, ઝાડા, માથાનો અસહ્ય દુખાવો અથવા બેભાન જેવી સ્થિતિ જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જોઈએ.
ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓથી સજ્જ વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે પણ વોર્ડની મુલાકાત લઈને સારવાર અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
જિલ્લાના તમામ સબ-સેન્ટર અને તાલુકા સ્તરે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘર-ઘર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ કેસ નોંધાયેલા વિસ્તારમાં મેલેથિયોન પાવડરનું ડસ્ટિંગ તેમજ મચ્છર અને સેન્ડફ્લાયના ઉપદ્રવને નિયંત્રિત કરવા એન્ટી-લાર્વા કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા, ક્લોરીનયુક્ત અથવા શુદ્ધ પાણી પીવા, બાળકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવા અને કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અનુરોધ કર્યો છે.
