ભરૂચ :
વાગરા તાલુકાના પખાજણ GIDC વિસ્તારમાં આવેલી PIP લેબર કોલોનીમાં સોમવારે 25 વર્ષીય પરપ્રાંતીય યુવા શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. મૂળ ઓડિશા રાજ્યના યુવકનો મૃતદેહ કોલોનીની છત પર લટકતી હાલતમાં મળતા ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકોમાં અરેરાટી ફેલાઈ હતી.
માહિતી મળતા જ વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ સમીરદાસ ગોદાબારી દાસ (ઉં. 25) તરીકે થઈ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોલોનીની છત પર લાકડાની વરી સાથે ગમછો બાંધી તેણે ગળેફાંસો ખાધો હતો. જોકે તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના સાથી શ્રમિકો, કંપની સાથે સંકળાયેલા લોકો તેમજ અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સાથે જ મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
તાજેતરમાં સાયખા GIDC વિસ્તારમાં પણ એક યુવા શ્રમિકના આપઘાતની ઘટના સામે આવી હતી. ટૂંકા સમયગાળામાં આવી બીજી ઘટના બનતા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના કલ્યાણ, માનસિક સ્વાસ્થ્ય અને લેબર કોલોનીઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં આત્મહત્યાના કારણ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે. તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
