ભરૂચ:
અંકલેશ્વરમાં પ્રતિબંધિત નશાકારક દવાના ઇન્જેક્શનના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરતાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) વડોદરા ઝોને વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં ભંગારનો વેપાર કરતા એક શખ્સને 540 પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત ઇન્જેક્શન, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ.53,480નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં આ જથ્થો મુંબઈથી મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવતા સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

એ.એન.ટી.એફ. વડોદરા ઝોનની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે મદીના મસ્જિદ નજીક પાણીની ટાંકી વિસ્તારમાં આવેલી અંસાર માર્કેટની એક ભાડાની દુકાન પર પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ભંગારનો વ્યવસાય કરતો સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉં.31), હાલ સીફા હાઇટ્સ, અંકલેશ્વર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસેથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને જરૂરી પાસ-પરમિટ વિના રાખવામાં આવેલા Pentazocine Lactate Injection IP 30 mg/mlના 540 ઇન્જેક્શન મળી આવ્યા હતા.
પોલીસે આરોપીના કબજામાંથી એક મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ.53,480નો મુદ્દામાલ જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મુંબઈના આશુતોષ પાંડ્યે નામના શખ્સે મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે વિવિધ ટીમોને કામે લગાડી છે.
આ અંગે અંકલેશ્વરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 22(એ) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપી પાસેથી અગાઉ કોને ઇન્જેક્શન વેચવામાં આવ્યા હતા, તેની પાછળ કોઈ મોટું સપ્લાય નેટવર્ક કાર્યરત છે કે કેમ અને જિલ્લામાં અન્ય કોઈ વ્યક્તિઓ આ ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે.
——————–
શું છે પેન્ટાઝોસિન?
પેન્ટાઝોસિન (Pentazocine) એક શક્તિશાળી પેઇનકિલર ઇન્જેક્શન છે, જેનો ઉપયોગ માત્ર તબીબી સલાહ અને નિયંત્રિત પરિસ્થિતિમાં જ થઈ શકે છે. તેનો ગેરકાયદે ઉપયોગ નશા માટે થતો હોવાથી તેનું વેચાણ અને સંગ્રહ કડક કાનૂની નિયંત્રણ હેઠળ આવે છે. જરૂરી પરવાનગી અથવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના તેનો જથ્થો રાખવો કે વેચાણ કરવું એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનાહિત કૃત્ય ગણાય છે.
