ભરૂચ : વરસાદી મોસમ દરમિયાન પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વાગરા તાલુકાના ગેલેંડા ગામમાં ખાણીપીણીની હાટડીઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વિભાગની ટીમે ગામની કુલ 11 હાટડીઓની તપાસ કરી ખાદ્ય સુરક્ષાના ધોરણોનું નિરીક્ષણ કર્યું હતું.
તપાસ દરમિયાન વિવિધ પેઢીઓ અને હાટડીઓમાંથી કુલ 17 ખાદ્ય ચીજોના નમૂનાઓ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત, માનવ આરોગ્ય માટે અયોગ્ય અને અખાદ્ય જણાયેલી 43 કિલો ખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, તાજી અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવા તેમજ ખાદ્ય સુરક્ષા અધિનિયમના નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી. વિભાગે જણાવ્યું હતું કે વરસાદી ઋતુ દરમિયાન આવી તપાસો સતત ચાલુ રહેશે અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
