ભરૂચ :
ભરૂચના ઝાડેશ્વર ખાતે પવિત્ર નર્મદા કિનારે આવેલ સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ઉત્તર ભારતના શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ દર્શન અને પવિત્ર નર્મદા જળ લેવા પહોંચ્યા હતા. જોકે, નર્મદા ઘાટ નવીનીકરણની કામગીરીને કારણે બંધ હોવાથી કાવડયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘાટ પરથી જળ ન ભરી શકતા શ્રદ્ધાળુઓમાં નારાજગી અને નિરાશા જોવા મળી હતી.
ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે માત્ર ભરૂચ જિલ્લો જ નહીં પરંતુ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન અહીં કાવડયાત્રીઓની વિશેષ ભીડ રહેતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી નર્મદા ઘાટના નવીનીકરણ અને વિકાસની કામગીરી ચાલી રહી હોવાથી ઘાટ બંધ રાખવામાં આવ્યો છે.
સોમવારે બેન્ડ-બાજા સાથે પહોંચેલા કાવડયાત્રીઓ જ્યારે નર્મદા જળ લેવા ઘાટ પર પહોંચ્યા ત્યારે પ્રવેશ બંધ હોવાથી તેઓને પવિત્ર નર્મદા જળ મળી શક્યું નહોતું. જેના કારણે અનેક શ્રદ્ધાળુઓએ પોતાની લાગણી વ્યક્ત કરતાં વહીવટી તંત્ર સમક્ષ યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવાનો હોવાથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે. આ સંજોગોમાં કાવડયાત્રીઓ અને સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે કે ઘાટના બાંધકામ દરમિયાન પણ વૈકલ્પિક માર્ગ અથવા અસ્થાયી ઘાટની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભક્તો સરળતાથી નર્મદા જળ મેળવી શકે અને તેમની ધાર્મિક આસ્થાને કોઈ વિક્ષેપ ન પડે.
