ભરૂચ :
નવસારી જિલ્લાના એંધલ ગામના રહેવાસી નરેશભાઈ આહિર તેમના 13મા ધાર્મિક સાયકલ પ્રવાસ દરમિયાન શુક્રવારે ભરૂચ જિલ્લાના તવરા ગામે આવેલા પ્રસિદ્ધ પાંચ દૈવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. દર વર્ષની પરંપરા મુજબ તેઓ સાયકલ દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરી દેવદર્શનનો સંકલ્પ પૂર્ણ કરે છે.
નરેશભાઈ આહિર દર વર્ષે એંધલ ગામથી સાયકલ યાત્રા શરૂ કરીને વીરપુર, જુનાગઢ, રાજપરા સહિત સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જાય છે. આ વર્ષે પણ તેમના 13મા સાયકલ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ જિલ્લાના તવરા ગામે આવેલા પાંચ દૈવી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.
તવરા ગામે આગમન થતાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ તથા દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાહ્યાભાઈ આહિર અને ગ્રામ પંચાયતના સભ્ય મુકેશભાઈ આહિરે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને સમાજના સભ્યોએ તેમની ધાર્મિક ભાવના અને સતત સાયકલ યાત્રાની પરંપરાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
નરેશભાઈ આહિરની આ ધાર્મિક સાયકલ યાત્રા સમાજમાં આધ્યાત્મિકતા, પર્યાવરણ જાગૃતિ અને સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક સંદેશ આપતી હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.
