વાંકલ:
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ અને ઉત્સાહસભર માહોલમાં થાય તે હેતુથી માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી.એમ. દેસાઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાનાર પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પી.આઈ. પી.એમ. દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો સિવાય કોઈપણ પ્રકારના તીક્ષ્ણ હથિયારો લાવવા પર સખત પ્રતિબંધ રહેશે. જો કોઈ વ્યક્તિ હથિયાર સાથે મળી આવશે તો પોલીસ દ્વારા તેને તાત્કાલિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમામ આગેવાનોએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના આ મહાપર્વને શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે ઉજવવા સર્વે સમાજને અપીલ કરી હતી.
બેઠકમાં વાંકલના સરપંચ અનિતાબેન ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય ઉજાસ ચૌધરી, ઠાકોરભાઈ ચૌધરી, આપના આગેવાન શિરીષભાઈ ચૌધરી, કોંગ્રેસના રૂપસિંગભાઈ ગામીત, માજી તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, ભુપેન્દ્રભાઈ ચૌધરી, વિપુલભાઈ વસાવા, કનુભાઈ ચૌધરી સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
