વાંકલ:
ભારતીય વિદ્યા ભવનની GIPCL એકેડમી, નાની નરોલી ખાતે ધોરણ 2થી 6ના વિદ્યાર્થીઓ માટે ‘બ્રાઈટર માઈન્ડ્સ આલ્ફા પ્રોગ્રામ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સત્ર 2026-27 અંતર્ગત બેચ-7 માટે તા. 5થી 13 ઓગસ્ટ દરમિયાન શાળાના AV રૂમમાં નવ દિવસીય સઘન તાલીમ યોજાઈ હતી.
આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 38 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના આયોજનમાં મેનેજિંગ ડિરેક્ટર વત્સલા વાસુદેવા, શાળાના સચિવ તથા હાર્ટફુલનેસ ટ્રસ્ટના સહયોગ અને પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વૈજ્ઞાનિક અભિગમ સાથે તાલીમ
નવ દિવસ દરમિયાન દરરોજ ચાર કલાકની તાલીમ આપવામાં આવી હતી. બી.એમ. પ્રશિક્ષિત શિક્ષિકા રાગિની ઠાકોર તથા અન્ય શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ ન્યુરોપ્લાસ્ટિસીટીના અભિગમ સાથે આલ્ફા મ્યુઝિક વેવ્સ દ્વારા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, અવલોકન કૌશલ્ય, સ્મરણશક્તિ અને સર્જનાત્મકતાના વિકાસ પર ભાર મૂકવાનો હતો.
તાલીમ દરમિયાન ક્રોસ-લેટરલ એક્સરસાઈઝ, શ્વાસોશ્વાસની કસરતો અને આઈબોલ રૂટીન જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત આંખે પટ્ટી બાંધી વિવિધ પ્રવૃત્તિઓ, ડાયરીમાં રંગ પૂરવા, સ્મરણશક્તિ અને અવલોકન શક્તિ વધારતી રમતો તથા મનોરંજક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી.
વિદ્યાર્થીઓને રોજિંદા અનુભવો વ્યક્ત કરવા માટે સંવાદ સત્રો તેમજ આત્મનિરીક્ષણ માટે ડાયરી લેખન કરાવવામાં આવ્યું હતું. વાલીઓ માટે પણ ખાસ ઓરિએન્ટેશન સેશન યોજાયું હતું, જેમાં કાર્યક્રમના અભિગમ અંગે માહિતી આપી બાળકોને ઘરે પણ નિયમિત અભ્યાસ કરાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આચાર્ય વૈભવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “નવ દિવસની તાલીમ બાદ વિદ્યાર્થીઓની એકાગ્રતા, માનસિક શાંતિ અને યાદશક્તિમાં સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે.”
