ભરૂચ :
ખોપી વિસ્તારના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન પર ખેતીના હક અને પેન્ડિંગ Forest Rights દાવાઓના મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજે CCF સુરત કચેરી ખાતે રજૂઆત કરી હતી. છેલ્લા 18 દિવસથી મહિલા આગેવાન લીલાબેન વસાવા અનશન પર છે, જ્યારે સ્થાનિક આદિવાસી ખેડૂતો પણ પોતાના હકોની માંગ સાથે ધરણા પર બેઠા છે.
આજે CCF પુનીત નાયર અને DCF ધીરજકુમાર સાથે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રૂબરૂ બેઠક કરી હતી. બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે સાગબારા અને ઉમરપાડા વિસ્તારના ખેડૂતોના Forest Rightsના અનેક દાવાઓ પેન્ડિંગ છે. જો ઉમરપાડા વિસ્તારના પેન્ડિંગ દાવેદારો માટે એક પ્રકારનો અભિગમ રાખવામાં આવે છે, તો સાગબારાના ખેડૂતો સાથે અલગ અને અન્યાયપૂર્ણ વ્યવહાર કેમ કરવામાં આવે છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોના દાવાઓ અંગે કાયદેસર આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી પેન્ડિંગ દાવેદારોને તેમની પરંપરાગત જમીન ખેડવાથી રોકવા અંગે સરકાર અને વન વિભાગે સ્પષ્ટ કાયદેસર આધાર આપવો જોઈએ. ખેડૂતોના કાયદેસર હકો માટે કોંગ્રેસ તેમની પડખે રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ખોપી વિસ્તારના પેન્ડિંગ દાવાઓની યોગ્ય ચકાસણી કરવા તેમજ વર્ષ 2010ના ગ્રામસભાના ઠરાવ સહિત તમામ સંબંધિત રેકર્ડની તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થયા પહેલાં ખેડૂતો સામે અનાવશ્યક કાર્યવાહી કરવામાં આવશે તો યોગ્ય કાયદેસર પગલાં લેવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા સાગબારા અને ઉમરપાડા વિસ્તારના 608 પેન્ડિંગ Forest Rights દાવાઓની તાત્કાલિક ચકાસણી, 2010ના ગ્રામસભા ઠરાવ અને સંબંધિત રેકર્ડની તપાસ, બંને વિસ્તારના ખેડૂતો સાથે સમાન અભિગમ તથા પેન્ડિંગ દાવેદારો સામે અનાવશ્યક કાર્યવાહી નહીં કરવાની માંગ કરવામાં આવી છે.
જો વન વિભાગ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે હકારાત્મક અને કાયદેસર અભિગમ નહીં અપનાવવામાં આવે તો કોંગ્રેસ દ્વારા સુરત વન વિભાગની કચેરી ખાતે લોકશાહી ઢબે વિરોધ કાર્યક્રમ યોજવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
બેઠકમાં સંદીપ માંગરોલા, દર્શન નાયક, સુરેશભાઈ વસાવા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, ખોપી સરપંચ ઈશ્વરભાઈ વસાવા, રાજુભાઈ વસાવા, દશરથ લાલમા, દયારામભાઈ વસાવા સહિત અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
