ભરૂચ:
ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે A, B અને C ડિવિઝન પોલીસ મથકની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ શહેરમાં હાલ તહેવારોનો માહોલ જામ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના ઈદ-એ-મિલાદ તેમજ હિન્દુ સમાજના પવિત્ર માસના વિવિધ પર્વો, રક્ષાબંધન, જન્માષ્ટમી અને છડી ઉત્સવ સહિતના તહેવારોને લઈને બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ તહેવારો કોમી એખલાસ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે આગેવાનો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા.
બેઠકમાં ડીવાયએસપી સી.કે. પટેલ સહિત ત્રણેય ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટરો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ વાંધાજનક કે ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ બંને સમુદાયના તહેવારો એકતા, ભાઈચારા અને કોમી એખલાસ સાથે ઉજવવા પોલીસ તંત્રને સહકાર આપવાની ખાતરી આપી હતી.
પોલીસ તંત્ર દ્વારા પણ ભરૂચ શહેરના નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
