ભરૂચ:
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચથી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પ્રથમ ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 29, 30 અને 31 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ યાત્રાને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ કાવડ યાત્રાની શરૂઆત ભરૂચના ડભોઈયાવાડ વિસ્તારમાં આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવશે. ભક્તો મા નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી યાત્રા કરશે. યાત્રાના અંતે ભગવાન સ્તંભેશ્વર મહાદેવને નર્મદાજળ અર્પણ કરી જળાભિષેક કરવામાં આવશે.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ભાવના સાથે સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. યાત્રામાં સાધુ-સંતો, ધર્મપ્રેમીઓ તથા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે.
સમરસ કાવડ યાત્રાના આયોજન અંગે માહિતી આપવા માટે તા. 25 ઓગસ્ટના રોજ સવારે 11:30 કલાકે ઝાડેશ્વર રોડ સ્થિત ગંગોત્રી હોટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજકો દ્વારા યાત્રાની રૂપરેખા, કાર્યક્રમો અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપવામાં આવશે.
હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ જિલ્લાના ધર્મપ્રેમી નાગરિકોને આ ઐતિહાસિક સમરસ કાવડ યાત્રામાં જોડાઈ ધાર્મિક લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
