ભરૂચ:
માનસિક સ્વાસ્થ્ય અંગે સમાજના દરેક વર્ગમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય અભિયાન ‘ બિયોન્ડ ધ હોરાઇઝન – અ રાઇડ ફોર રેઝિલિયન્સ’ આજે ભરૂચ પહોંચ્યું હતું. દિલ્હીથી કન્યાકુમારી અને ત્યાંથી પરત દિલ્હી સુધીની મોટરસાયકલ યાત્રા અંતર્ગત ટીમ દ્વારા વિવિધ શહેરોમાં લોકો સાથે માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લો સંવાદ કરવામાં આવી રહ્યો છે.
20 ઓગસ્ટથી શરૂ થયેલી આ યાત્રા 15 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન દેશના 50થી વધુ શહેરોની મુલાકાત લેવામાં આવશે અને 100થી વધુ શાળા, કોલેજ તથા સામુદાયિક સ્થળોએ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ અભિયાનને 20 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોરે ફ્લેગ ઓફ કર્યું હતું. હરિયાણા અને રાજસ્થાન બાદ 25 ઓગસ્ટે અભિયાનની ટીમે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો.
અભિયાનનું નેતૃત્વ માનસિક સ્વાસ્થ્ય એડવોકેટ, મોટિવેશનલ સ્પીકર અને ફેશન સ્ટાઈલિસ્ટ સેહર હાશ્મી કરી રહ્યા છે. પોતાના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત અનુભવ અને પુનઃસ્વસ્થ થવાની યાત્રાના આધારે તેઓ ખાસ કરીને યુવાનોને પોતાની લાગણીઓ અને માનસિક પડકારો અંગે ખુલ્લેઆમ વાત કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.દિલ્હી–કન્યાકુમારી–દિલ્હી યાત્રા દરમિયાન સેહર હાશ્મી, સન્ની લોછા સહિતની ટીમ ભરૂચ શહેરમાં આવી પહોંચી હતી. ભરૂચના ડુંગળી વિસ્તારમાં વોર્ડ નંબર-2ના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓ દ્વારા ટીમનું ફૂલો વરસાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક મહિલાઓએ સેહર હાશ્મી સહિત ટીમના સભ્યોને શાલ ઓઢાડી અને ફ્લાવર બુકે આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે સેહર હાશ્મીએ સ્થાનિક મહિલાઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અને માનસિક બીમારી અંગે ખુલ્લો સંવાદ કર્યો હતો. માનસિક સમસ્યાઓ અંગે સમયસર વાતચીત, યોગ્ય સમજણ અને પરિવાર તથા સમાજના સહયોગનું મહત્વ સમજાવી લોકોને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર-2ના નગરસેવકો સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસા પટેલ, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બિયોન્ડ ધ હોરાઇઝન – અ રાઇડ ફોર રેઝિલિયન્સ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચાને માત્ર હોસ્પિટલો અને ક્લિનિકો સુધી સીમિત ન રાખી સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે. ખાસ કરીને યુવાનોને પોતાની લાગણીઓ અને માનસિક પડકારો અંગે નિઃસંકોચ વાત કરવા પ્રેરિત કરતી આ યાત્રા ભરૂચમાં પણ જનજાગૃતિનો સંદેશ આપી ગઈ હતી.
