ભરૂચ:
ચાલુ ટ્રેનમાં મુસાફરોની ઊંઘનો લાભ લઈ ચોરીની ઘટના સામે આવી છે. સુરતથી ભરૂચ વચ્ચે રાત્રિના સમયે અમરાપુર અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાના માથા પાસે મૂકેલું ખભાનું પર્સ અજાણ્યો ગઠિયો ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પર્સમાં રોકડ સહિત સોનાના દાગીના, મોબાઈલ અને અન્ય સામાન મળી કુલ રૂ.1.72 લાખની મત્તા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાયગઢ જિલ્લાના ન્યૂ પનવેલ ખાતે રહેતા દિપક નાગેન્દ્ર કુલ્હારી પોતાના પરિવાર સાથે રાજસ્થાન જવા નીકળ્યા હતા. ગત 10 જુલાઈના રોજ તેઓ અમરાપુર અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનની એ-2 બોગીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે પત્ની અને ભાભી પણ હતાં.
રાત્રિના આશરે 1 વાગ્યે ટ્રેન સુરત સ્ટેશન ખાતે પહોંચી હતી. ત્યારબાદ પરિવારના ત્રણેય સભ્યો પોતાની સીટ પર સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રિના આશરે 1:40 વાગ્યે ટ્રેન ભરૂચ સ્ટેશન પર પહોંચી ત્યારે દિપક કુલ્હારીના ભાભી જાગ્યા હતા. જાગ્યા બાદ તેમણે પોતાના માથા પાસે મૂકેલું ખભાનું પર્સ તપાસતાં પર્સ ગાયબ હોવાનું જણાયું હતું.
આથી તેમણે સમગ્ર બોગીમાં પર્સની શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાદમાં પર્સમાં રહેલા સામાનની તપાસ કરતાં તેમાં જૂની હીરા જડિત સોનાની વીંટી, 25 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, 4 ગ્રામની સોનાની વીંટી, ઈયરબર્ડ, પોકો કંપનીનો મોબાઈલ ફોન, આઈફોનનું ચાર્જર સહિતનો સામાન હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ સામાનની કુલ કિંમત આશરે રૂ.1.72 લાખ હોવાનું જણાવાયું છે.
સુરતથી ભરૂચ વચ્ચે ટ્રેન દોડતી હતી તે દરમિયાન પરિવારજનો ઊંઘમાં હતા ત્યારે કોઈ અજાણ્યો ગઠિયો તકનો લાભ લઈ મહિલાના માથા પાસેથી પર્સ સરકાવી લઈ ફરાર થઈ ગયો હોવાનું અનુમાન છે.
ઘટનાને પગલે ભરૂચ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી ટ્રેનમાં તથા રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે પર્સ ચોરનાર ગઠિયાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
