ભરૂચ :
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ (બૌડા)ને ડી-4 કેટેગરીમાંથી ડી-2 કેટેગરીમાં સમાવવાના નિર્ણયને લઈને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ક્રેડાઈ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે ક્રેડાઈ, ભરૂચના ચેરમેન તથા પ્રમુખને પત્ર પાઠવી બૌડાને ફરી ડી-4 કેટેગરીમાં ફેરવવા માટે જરૂરી પ્રયાસો કરવાની માંગ કરી છે.
ખેડૂત સમાજની રજૂઆતમાં જણાવ્યા મુજબ, સીજીડીસીઆ અંગે તા. 5-6-2017ના જાહેરનામા સંદર્ભે વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા. તે સમયે ક્રેડાઈ દ્વારા બૌડાને D-4માંથી D-2 કેટેગરીમાં સમાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સૂચનનું મૂલ્યાંકન નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાની રિસર્ચ શાખા, ગાંધીનગરને મોકલવામાં આવ્યું હતું.
રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે રિસર્ચ શાખાએ ક્રેડાઈનું કેટેગરી બદલવાનું સૂચન ગ્રાહ્ય રાખવા પાત્ર ન હોવાનું અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ ક્રેડાઈ દ્વારા તે વખતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત સમાજના પત્ર મુજબ, તા. 11-10-2017ના રોજ બૌડાને D-2 કેટેગરીમાં સમાવવાનો નિર્ણય લેવાયો અને ત્યારબાદ તા. 12-10-2017ના શહેરી વિકાસ અને શહેરી મકાન વિભાગના નોટિફિકેશનથી બૌડાનો D-2 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ખેડૂત સમાજનો મુખ્ય આક્ષેપ છે કે બૌડાને D-2 કેટેગરીમાં સમાવાયા બાદ બાંધકામની પરમિશન મેળવવા માટે 40 ટકા જમીન કપાત એટલે કે પીવીસી મેળવવાનો નિયમ લાગુ પડ્યો છે. જેના કારણે બૌડાની હદમાં આવતા ખેડૂતો અને જમીન માલિકોના હિતોને ગંભીર અસર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પત્રમાં ખેડૂત સમાજે ક્રેડાઈ પર આકરા આક્ષેપો કરતાં જણાવ્યું છે કે ક્રેડાઈના સભ્યોની સંખ્યા મર્યાદિત હોવા છતાં તેમના સૂચનને કારણે બૌડાની હદમાં આવતા તમામ ખેડૂત ખાતેદારો તથા જમીનધારકોને 40 ટકા જેટલી જમીન વિના મૂલ્યે ગુમાવવાની ફરજ પડી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે પત્રના અંતે ક્રેડાઈને અપીલ કરતાં જણાવ્યું છે કે જો અગાઉ બૌડાને D-4માંથી D-2 કેટેગરીમાં ફેરવવા માટે કરવામાં આવેલી રજૂઆત અને પ્રયાસો શક્ય બન્યા હતા, તો હવે હાલની D-2 કેટેગરીને ફરી D-4 કેટેગરીમાં ફેરવી ખેડૂતોના હિતમાં અગાઉ થયેલી ભૂલ સુધારવા પ્રયાસ કરવામાં આવે. ખેડૂત સમાજે સમગ્ર મામલે ખેડૂતોના હિતોને ધ્યાનમાં લઈ બૌડાની કેટેગરી અંગે પુનર્વિચાર કરવાની માંગ ઉઠાવી છે.
