ભરૂચ :
માવતરને લજાવતો અને માનવતાને હચમચાવી નાખે તેવો કિસ્સો અંકલેશ્વર નજીક સામે આવ્યો છે. નર્મદા નદીના કિનારે માછીમારી કરી રહેલા માછીમારોની નજર નવજાત બાળકીના બિનવારસી મૃતદેહ પર પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
નદી કિનારે નવજાત બાળકીનો મૃતદેહ પડેલો જોવા મળતાં માછીમારોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બાળકીના મૃતદેહને પોલીસને સોંપ્યો હતો.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું, તેનો જન્મ ક્યાં થયો હતો અને આ માસૂમને નદી કિનારે કોણ અને શા માટે ત્યજી ગયું? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જીવનની શરૂઆત સાથે જ જે બાળકીનું અસ્તિત્વ નદી કિનારે આવી રીતે સમાપ્ત થયું તે ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. માતાની કૂખમાંથી જન્મેલી માસૂમને મમતાની છત્રછાયા મળવાને બદલે મોત મળ્યું હોવાની આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.
નિર્દોષ બાળકીના મૃતદેહને બિનવારસી હાલતમાં છોડી જનાર વ્યક્તિ સુધી પોલીસ પહોંચે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
