ભરૂચ :
વાગરા તાલુકાના પખાજણ ગામના બસ સ્ટેન્ડથી યશો કંપની તરફ જતા રોડ પર બોલેરો પિકઅપ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા માછીમાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પિકઅપ ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વાગરા તાલુકાના કલાદરા ગામના ટેકરા ફળિયામાં રહેતા 52 વર્ષીય ગોકુળભાઇ લાખાભાઇ રાઠોડે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ માછીમારીનો વ્યવસાય કરે છે. તેમનો 25 વર્ષીય પુત્ર બળદેવ પણ તેમની સાથે માછીમારીનું કામ કરે છે. બળદેવની પત્ની વિલાસબેન તથા પરિવાર સાથે રહે છે.
ફરિયાદ મુજબ, બળદેવને વાગરા ખાતે કામ હોવાથી તે બપોરે આશરે ત્રણ વાગ્યાના અરસામાં પરિવારની મોટરસાયકલ નં. GJ-16-BE-0931 લઇ વાગરા જવા નીકળ્યો હતો. સાંજે ઘરે પરત ફરતી વખતે પખાજણ ગામના બસ સ્ટેન્ડથી યશો કંપની તરફના રોડ પર સામેથી પૂરઝડપે આવી રહેલા બોલેરો પિકઅપ ટેમ્પો નં. GJ-16-AV-8635ના ચાલકે બળદેવની મોટરસાયકલને અડફેટે લીધી હતી.
અકસમાતમાં બળદેવ રોડ પર ફંગોળાઇ પડતાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. કાન અને નાકમાંથી લોહી નીકળતું હોવાનું પરિવારને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત બળદેવને 108 એમ્બ્યુલન્સ મારફતે વાગરા સરકારી દવાખાને ખસેડાયો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
અકસમાત સર્જ્યા બાદ બોલેરો પિકઅપનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે વાગરા પોલીસે વાહનના નંબરના આધારે ફરાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
