ભરૂચ :
ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલ રોડ સ્થિત કૃષ્ણનગર સોસાયટીમાં રસ્તા પરથી કાર પસાર કરવા મુદ્દે કારચાલક અને સ્થાનિક રહીશ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન સ્થાનિક રહીશે પથ્થર વડે કારના બોનેટ પર હુમલો કરી નુકસાન પહોંચાડ્યું તેમજ કારચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય ઉમંગ અનિલકુમાર જૈને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સોફ્ટવેર એન્જિનિયર તરીકે પોતાની કંપની ચલાવે છે. તા. 30 ઓગસ્ટે સવારે તેઓ પોતાની કંપનીના નામે નોંધાયેલી મહિન્દ્રા X EV કાર નં. GJ-16-FB-0082 લઈને કામ અર્થે વડોદરા જઈ રહ્યા હતા.
ફરિયાદ મુજબ, તેમના ઘરની બાજુમાં મકાનનું બાંધકામ ચાલતું હોવાથી રસ્તા પર બાંધકામ સામગ્રી પડેલી હતી. જેથી તેઓ સોસાયટીના અંદરના વૈકલ્પિક રસ્તેથી કાર લઈ જઈ રહ્યા હતા. દરમિયાન સી/33 મકાન પાસે હરકીશનભાઈ મગનભાઈ મિસ્ત્રીના સંબંધિની કાર રસ્તા પર પડેલી હતી. તેની બાજુમાંથી કાર ધીમેથી પસાર કરવાનો પ્રયાસ કરતા હરકીશનભાઈ ઘર બહાર આવી રસ્તા પર ઊભા રહી ગયા અને ત્યાંથી કાર ન કાઢવા જણાવ્યું હતું.
કારચાલકે જગ્યા હોવાથી ધીમેથી કાર કાઢી લેવાની વાત કરી હતી. જોકે, આક્ષેપ મુજબ હરકીશનભાઈએ ગાળો આપી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ નજીકમાં પડેલો પથ્થર ઉઠાવી કારના બોનેટ પર જોરજોરથી મારતાં કારને નુકસાન થયું હતું.
ફરિયાદી કાર રિવર્સ લઈ ત્યાંથી જતો હતો ત્યારે હરકીશનભાઈએ ‘હવે પછી મારા ઘર તરફથી ગાડી લઈને નીકળીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કારને થયેલા નુકસાનના વળતર અંગે સમાધાન ન થતાં હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી મુજબ કારને આશરે રૂ.70 હજારનું નુકસાન થયું છે. સમગ્ર ઘટના કારમાં લાગેલા ડેશકેમમાં રેકોર્ડ થઈ હોવાનું જણાવી તેના ફૂટેજ પોલીસ સમક્ષ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
